અમારા વિશે
વર્ષો પહેલા રામાનંદી સાધુ સમાજના દિવ્ય સમૂહમાં એક એવા સંતનો જન્મ થયો કે જેમણે જગત આખાને એક સેવાનો સંદેશ અને રામનામની માળા જપવાની પ્રેરણા આપી. ઝાંઝરીયા હનુમાનજીની જગ્યામાં આ દિવ્ય આત્મા પ્રગટી જેમનું નામ સંત શિરોમણી શ્રી બજરંગદાસબાપા હતું. અને અમર છે. તેમને પોતાના ગુરુપદ માનીને પોતાના જીવનને દયાનો સાગર સાર્થક કરીને સમાજ માટે શ્રી દયાના સાગર દયારામબાપા (દ્વારકાપુરી) નામક સંતે આ સમાજને ઘણું યોગદાન અર્પણ કર્યું. તે સંતોને લાખ-લાખ વંદન... આવો...વાત કરીએ આવા મહાસંત દ્વારા પ્રસ્થાપિત શ્રી બજરંગદાસજી બાપા રામાનંદ ગુરુકુળ કન્યાછાત્રસંકુલ, સાવરકુંડલાના ઈતિહાસની...
સાવરકુંડલા અમરેલી, જીલ્લાનો તાલુકો ત્યાં હાથસણી રોડ પર પ.પૂ. શ્રી સીતારામ બાપુ નામક સંતનો શ્રી ઉતાવળા હનુમાનજી મહારાજનો આશ્રમ. સીતારામ બાપુ, ૮૦ થી ૮૫ વર્ષની વયના હતા. તેઓની થોડી તબિયત નાદુરસ્ત રહેતી ત્યાં આપણા રાજયમંડળના પૂર્વ પ્રમુખશ્રી ઘનશ્યામદાસજી વજેરામજી રામાનુજ (રાઘવ) રોજ મંદિરે દર્શનાર્થે જતા. જેઓ પી.ડબલ્યુ.ડી.માં ઓફિસર હતા. તેઓ સીતારામ બાપુને સમયસર તબિયતની કાળજી રાખતા અને જમવાનું પોતાના ઘરેથી ટીફીન લાવીને ભોજન પ્રસાદ પીરસતા. સીતારામ બાપુ દિવ્ય આત્મા હતા. માટે તેમને વિશ્વાસ આવતા તેમણે પૂ. ઘનશ્યામદાસબાપુને ઉતાવળા હનુમાનજી આશ્રમની વિશાળ જગા સોંપવાનો નિર્ધાર કર્યો. પણ પૂ. ઘનશ્યામ બાપુએ ના પાડી... તે વખતે સાવરકુંડલા તાલુકા મંડળના પ્રમુખ તરીકે પૂ. લક્ષ્મીરામ બાપુ (વંડા) અને મંત્રી તરીકે પૂ. રાઘવબાપુ હતા. તાલુકા મંડળ દ્વારા પૂ. રાઘવબાપુએ સીતારામ બાપુની લાગણી સ્વીકારતા સમાજના મંડળ માટે જમીનની માંગણી કરી તેથી બાપુ રાજી થયા અને તેમણે કહ્યું કે તમે લીટોદોરો એટલી જમીન તમારી. પછી પૂ. ઘનશ્યામબાપુ (રાઘવે) જેટલું નિશાન કર્યું તેટલી જગા તાલુકા મંડળ માટે અને સમાજના ઉધ્ધાર માટે મળી... આ જમીનને સ્વીકારતા ફરતો વંડો કરવા માટે તે વખતે કુંડલા તાલુકા પાસે સક્ષમતા નહોતી. માટે પૂ. ઘનશ્યામબાપુ પી.ડી.ડબલ્યુ.ડી.માં સર્વિસ કરતા તેમના મિત્રો પાસેથી પથ્થર, રેતી અને સિમેન્ટનો સહિયારો સહયોગ એકત્ર કર્યો. આશ્રમની દીવાલ રચાણી ત્યારબાદની હોદ્દેદારોમાં ડો. લશ્કરી સાહેબ પ્રમુખ અને શ્રી ચંદુબાપુ અગ્રાવત મંત્રી સ્થાને આવ્યા અને આ જમીનના ઉપયોગાર્થે વિચારણા શરૂ કરવામાં આવી. પૂ. ઘનશ્યામબાપુએ વિચારણાને અંતે પૂ. દયારામબાપાને મળીને જગાનો સદ્ઉપયોગ થાય તે માટે પ્રયત્નો શરૂ કર્યા.
હવે પછી...
તે વખતે ધીરજરાજમભાઈ અગ્રાવત (સમાજઅગ્રણી) વિસાવદર ખાતે પોતાના પરિવાર સાથે ડોક્ટરી વ્યવસાયમાં હતા. પરિવારને સમાજ પ્રત્યે લાગણી...તે વખતે આપણા રાજયમંડળના પ્રમુખશ્રી મણીરામબાપુ અને મંત્રીશ્રી અરવિંદભાઈ લશ્કરી હતી. પૂ. ઘનશ્યામદાસબાપુ અને શ્રી ચંદુબાપુ પાલીતાણા મુકામે ડો. સુભાષભાઈ અગ્રાવત સાહેબના મુકામે મુલાકાતાથે ગયા. યોગાનુયોગ સુભાષભાઈના પૂજ્ય પિતાશ્રી ધીરજરામબાપુ અગ્રાવત ત્યાં હાજર હતા. સુભાષભાઈ પાસે પ્રસ્તાવ મુક્યો. રાજયમંડળના પ્રમુખ તરીકે વરણી કરવા અંગે વિચારણા હાથ ધરી છે. આપને મળવા આવ્યા છીએ. ડો.સુભાષભાઈએ અતિવ્યવસાયિક વ્યસ્તતાના સંદર્ભે પહેલા ના પાડી પરંતુ અતિ આગ્રહ કરતા પૂ. ધીરૂબાપુ અગ્રાવત (પિતાજી)ની આજ્ઞા પાલન કરીને ૧૧ મહિના સુધી પ્રમુખ તરીકે રહેવા તૈયારી દાખવી.
સંત મિલન સમાજ ઉત્થાન:
હવે ત્યારબાદ... શ્રી ઘનશ્યામબાપુ અને ચંદુબાપુ પૂ. દયારામ બાપા પાસેથી સમય લઈને ગારિયાધાર સંત મિલને ગયા. સાથે ડો. સુભાષભાઈ પણ આ દિવ્ય કાર્યમાં સમય કાઢી જોડાયા. રાત્રિના ભોજન પ્રસાદ પછી બેઠક કરી ને પૂ. સીતારામબાપુએ આપેલ જમીનદાન વિષયક પૂ. દયારામબાપાને વાત કહી. બાપાનું માર્ગદર્શન લેતાં બાપાના શબ્દો, સુંદર વચનો સાંભળતા બાપાનો આદેશ સ્વીકાર્યો. પૂ. બાપાના શબ્દો સમાજ માટે કંઈક કરવું હોય તો પૂ. બજરંગદાસ બાપાને દીકરીઓ ખૂબ જ વહાલી હતી. માટે આપણા સમાજમાં ઘણા પરિવાર મધ્યમ વર્ગના છે. શિક્ષણથી વંચિત છે. દીકરીઓને આગળ ભણાવી શકે તેમ પણ નથી. માટે બાપાના નામની સંસ્થા જો ઉભી કરો તો પૂ. બજરંગદાસબાપાના આશીર્વાદથી દીકરીઓ અને સમાજ પ્રગતિ કરશે.
દીકરીઓના વિકાસ માટે
સમાજની પ્રગતિની દિશામાં પ્રથમ પગથિયું
કન્યા છાત્ર સંકુલનું બાંધકામ
છાત્ર સંકુલના બાંધકામ માટે શ્રી દયારામબાપાએ એસ્ટીમેન્ટ તૈયાર કરી લાવવાનું કહ્યું અને સાથે કોઈ દાતાશ્રીને પણ લઈને આવવા સૂચન કર્યું. એ અરસામાં સિંગાપુરથી દલપતરામ દેવમુરારી ગોપાલગ્રામ આવેલ તેને શ્રી ચંદુબાપુ અને ઘનશ્યામબાપુ મળવા ગયા, ચર્ચા વિચારણા કરી અંતે ફરીથી બાપાનો સમય માંગી બાપાને મળવા ગયા. રૂા. ૩,૫૦,૦૦૦/- નો બાંધકામ માટેનો એસ્ટીમેટ રજૂ કર્યો. પૂ. બાપાએ દલપતરામભાઈને આજ્ઞા કરી કે તમે શું ફાળો આપો છો? તે વખતે દલપતરામભાઈએ ૩૦,૦૦૦/- ના બોન્ડ આપી જેની પાકતી તારીખે ૬૦,૦૦૦/- રૂા. મળે તેવું દાન જાહેર કર્યું. સુભાષભાઈ અગ્રાવતને પણ તમો રૂપિયા ૧ લાખનું દાન આપો. તેવું કહી પૂ. બાપાએ પણ રૂપિયા ૧ લાખનું દાન જાહેર કર્યું. બાકીની ખૂટતી રકમ માટે વિચારણા કરી, અંતમાં ઈનામી ડ્રો રાખી ટીકીટની વહેંચણી કરવી અને રકમ ભેગી કરવાનું નક્કી થયા બાદ ઈનામમાં મોટર સાયકલો પણ રાખ્યા. રૂા. ૬૪૦૦૦/- જેવી રકમ મળી ત્યારપછી ઉમરાળા મુકામે રાજ્યમંડળની કારોબારી મળી ત્યાં કન્યા છાત્રાલય વિશે દરખાસ્ત મૂકવામાં આવી. રાજય મંડળે સાથ સહકાર આપવા જણાવ્યું. અમુક સભ્યોએ સાવરકુંડલા નાનું ગામડું હોય આવી સંસ્થા ના કરાય. મોટા શહેરોમાં કરાય તેવા સૂચનો કર્યા. શ્રી ઘનશ્યામબાપુ, ચંદુબાપુ અન્ય મિત્રોએ રજૂઆત કરી કે સાવરકુંડલામાં ધો. ૧ થી કોલેજ સુધીના અભ્યાસ છ. અને પૂ. દયારામબાપાના સાવરકુંડલા માટેના આશિર્વાદ છે. તો રાજયમંડળે મંજૂરી આપવી જોઈએ. ત્યારે મતદાનનો પ્રશ્ન આવ્યો અને સાવરકુંડલા અને અન્ય શહેરો વચ્ચે મતદાન થતા સાવરકુંડલા ૧ મતથી વિજેતા થયું.
રાજય મંડળની શરત :
છાત્ર સંકુલ ઉભું કરવા માટે રાજયમંડળ તૈયાર થયું. પછી શરત પણ મૂકી. જમીન દસ્તાવેજ સાવરકુંડલા તાલુકા મંડળ નામે હતો તે ફેરવીને રાજયમંડળના નામે કરવો...એમાં પણ ૫.પૂ. બજરંગદાસબાપાનો પ્રથમ ચમત્કાર સોનામાં સુગંધ ભળે તેમ ભળી ગયો... છાત્રાલયનું બાંધકામ શરૂ થતા પાણીની વ્યવસ્થા માટે બોર કરવાનું નક્કી કર્યું અને ૩૦૦ ફૂટ ઉંડે જતા પણ પાણી આવેલ નહી. ફંડની અછત હોવાથી મુંઝવણ થઈ, પરંતુ પૂ. બજરંગદાસ બાપાને વિનંતી પ્રાર્થના કરી ત્યારે બોરવાળાએ પોતાના તરફથી ૧૦ ફૂટ ફ્રીમાં નાખી દેવાનું કહ્યું ત્યારે ૧૦ ફૂટમાંથી ખૂબ જ પાણી આવ્યું. ત્યારથી પૂ.બજરંગદાસબાપા, પૂ.દયારામ બાપા અને પૂ.ઘીરજરામબાપાના
આશિર્વાદ વરસતા રહ્યા છે. અને આજે સંસ્થા મોટું વટવૃક્ષ થઈ ગઈ છે. જેની છત્રછાયાના ફળ અત્યારે સમાજની ઘણી દીકરીઓને પ્રાપ્ત થઈ રહ્યા છે.
વિશેષ સંસ્થા વિષયક ::
સંસ્થાની સ્થાપના : ૧૯૯૦-૧૯૯૧
ખાતમુહૂર્ત: પૂ. દયારામબાપા અને પૂ. ધીરાબાપાના હસ્તે તા. ૨૭-૫-૧૯૮૭
રામદૂત: સંમેલન દ્વારા છાત્રાલયની જાણ
સૌ પ્રથમ સુવિધા: ૫ રૂમ અને ભોજનાલય અને મંદિર, ખુલ્લું વાતાવરણ
સ્થાપનાકાળથી અવિરત સેવાઓ આપનાર શ્રેષ્ઠીઓ
૫.પૂ.દયારામબાપા ડો. સુભાષભાઈ અગ્રાવત
પૂ.ઘનશ્યામદાસબાપુ (રાઘવ) શ્રીમતી ઉર્મિલાબેન સુભાષભાઈ અગ્રાવત
પૂ.ચંદુબાપુ અગ્રાવત
છાત્ર સંકુલ (કન્યા છાત્રાલયનો) : પ્રથમ વિચાર : ૫.પૂ. ઘનશ્યામદાસબાપુ (રાઘવ) ૫.પૂ. શ્રી દયારામબાપા અને
પ્રથમ પાંચ વર્ષ ભોજનના દાતા:
બહેનોની ફી ન લેવાની શરૂઆતથી ૫.પૂ. દયાના સાગર દયારામ બાપા.... પૂ.દયારામબાપા દ્વારા સંસ્થાને પગભર કરવા માટે કાયમી નિભાવ ફંડ માટે તિથિ અનુદાન રૂા. ૧૧૧૧/-ની તિથિ શ્રી બજરંગદાસ બાપાના નામે શરૂ કરી તેમજ બાપાની તિથિ પોષ વદ-૪ (અનુદાન ફંડ હાલ ૩૫ લાખ સુધી પહોંચ્યું છે.)
સમાજની યોજના:
દત્તક યોજના....સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા અને દાતાઓ દ્વારા દિનપ્રતિદિન ૫૦૦૦/- નું યોગદાન મળતું રહ્યું અને ભૌતિક સુવિધાનો પણ વધારો થતો રહ્યો. નવા રૂમના બાંધકામ માટે દાતા દ્વારા દક્ષિણ દિશા તરફ નવા ત્રણ રૂમ અને શૌચાલયની સુવિધામાં વધારો થયો. શિક્ષણમાં વધારો થવાથી છાત્રબાળાની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થતો રહ્યો છે. અનેક સમાજના સુખી સંપન્ન શ્રેષ્ઠીઓએ આ સંસ્થાને દાન અર્પણ કરી આજે આ સંસ્થાને ત્રણ માળ સુધીનું શિખર પ્રાપ્ત કરાવ્યું છે અને દીકરીઓની આ શૈક્ષણિક સંસ્થાના વિકાસમાં પુણ્યદાન કરી સમાજને ગૌરવ અપાવ્યું છે.
છાત્ર સંકુલની ૧૯૯૦-૯૧માં શરૂઆત થઈ. શિક્ષણ એ સમાજનું દર્પણ છે. માટે છાત્ર સંકુલમાં શિક્ષણ વિભાગના વ્યવસ્થાપક અને સ્થાનિક ટ્રસ્ટી તરીકે શ્રી અરૂણભાઈ ડી. દેવમુરારીની પાંખ સમાજના ઐતિહાસિક સેવાકાળમાં પ્રવેશી યુવાનવયે રાજયમંડળ સાથે જોડાયા. સંચાલન સમિતિ, સહવ્યવસ્થાપક, વ્યવસ્થાપક, શિક્ષણની બાબતો સંભાળતા રામભક્તમાં સંપાદકની કામગીરી બજાવી. ટ્રસ્ટી, મહામંત્રી પદ સુધી તેઓ અવિરત પોતાનું યોગદાન અર્પણ કરી રહ્યા છે. યુવાનોને તેમનામાંથી પ્રેરણા લેવી જોઈએ. હાલશ્રી અરૂણભાઈ રાજયમંડળના મહામંત્રી તરીકે પોતાની શોભાથી સમાજને ગૌરવાવિંત કરી રહ્યા છે.
અને અમો આભારી છીએ...હાલના રાજયમંડળના પ્રમુખશ્રી ડો. અશ્વિનભાઈ પી. રામાનુજના કેમ કે અમોને આ પાવન કાર્ય માટે રજા આપી. સમાજ ગૠણી રહેજે જેઓ ૧૯૯૨-૯૩માં રામદુતના માધ્યમથી જોડાયા અને ભૂતકાળમાં ઘણા વિશેષ હોદ્દા પર રહીને સમાજની શોભામાં વૃધ્ધી કરતા રહ્યા છે, તેમની સેવાની નાવ હાલમાં પણ સમાજના અને સંસ્થાના વિકાસાર્થે અવિરત છે.
સંસ્થા નું રજિસ્ટ્રેશન
શ્રી ગુજરાત રામાનંદી સાધુ સમાજ ઉત્કર્ષ મંડળ
સોસાયટી એક્ટ રજી નં.ગુજ./૨૪૨
ટ્રસ્ટ રજી નં.એફ/૧૯૧ ભાવનગર
ડોનેશન માટે 80G
શ્રી ગુજરાત રામાનંદી સાધુ સમાજ ઉત્કર્ષ મંડળ - સાવરકુંડલા
સંસ્થાને 80-G હેઠળ કરમુકતી મળેલ છે.
80G No.: AAFTS4033AF20218
સંસ્થાને દાન આપનાર દાતાને 80-G મુજબ કરમુકતી મળશે.